નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનને લઈ આજે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી એક નોટિફેરેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજયમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા માલિકો અને કર્મચારીઓને આગામી 31 જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત છે. ત્યારે રવિવારના રોજ વેક્સિનેશન સેન્ટર બંધ રાખવામાં આવ્યા હતા પરતું હવેથી રાજયમાં રવિવારે પણ તમામ સેન્ટરો પર વેક્સિન આપવામાં આવશે તેવું નાયાબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વેક્સિનેશનને લઈ જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, 31 જુલાઈ સુધી રસી લેવી ફરજિયાત છે તેવા લોકો માટે આ રવિવારે રસીકરણ યોજાશે. 25 જુલાઈને રવિવારના રોજ ધંધાકીય એકમો સાથે સંકળાયેલાને રસી આપવામાં આવશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનું સંકમણ ઘટ્યું છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
હવે છેલ્લા બે-ત્રણ દિવસોથી 25થી નીચે કેસો નોંધાય છે. રાજ્યમાં નાગરિકોના સહયોગથી સંક્રમણ રોકવામાં સફળતા મલી છે ત્યારે આગામી સમયમાં પણ નાગરિકો આવો સહયોગ કાયમ રાખે તો ગુજરાતને ચોક્કસ કોરોના મુક્ત બનાવીશું.
રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ ફરજિયાત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની સમય મર્યાદા વધારીને 31 જુલાઈ સુધીની કરી હતી. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે તે ધંધાકીય કે વાણિજ્યિક અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.
સરકારની SOP મુજબ વેક્સિન નહીં લેનાર વેપારી અને અન્ય લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ રાજ્યમાં સતત ધીમું વેક્સિનેશન થતું હોવાથી વેપારીઓને વેક્સિન લેવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. એક તરફ સરકારની ગાઈડલાઇનને અનુસરવાનું અને બીજી તરફ વેક્સિનેશન સપ્તાહમાં બે દિવસ બંધ હોવાથી રસી નથી મળતી જેને લઈને વેપારી એસોસિએશને સરકારને અપીલ કરીને ફરજીયાત રસીકરણની સમય મર્યાદામાં વધારો કરી 31 જુલાઈ કરવાની માંગણી કરી હતી.