હાર્દિકનું ટ્વિટ, અન્ન-જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, જોઉં છું સરકાર જીતશે કે મહાત્મા
![](https://gujarati.motiontoday.com/wp-content/uploads/2018/08/gandhi_hardik-1.jpg)
પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. 31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.
સરકારને કંઈક સુઝે એવી પ્રાર્થના કરીયેઃ કળસરિયા
આજે હાર્દિકને મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા કનુભાઈ કળસરિયા પહોંચ્યા હતા.
છ દિવસમાં સાડા ચાર કિલો વજન ઘટ્યું
હાર્દિક છેલ્લા સાત દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. શુક્રવારે તેનું વજન કરવામાં આવતા તેમાં અત્યાર સુધીમાં સાડા ચાર કિલોનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે હાર્દિકનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ આવ્યું હતું. ડૉક્ટરે તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી છે. જોકે, હાર્દિકે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો છે.
નજરકેદ કરવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી
આજે પાસ તરફથી હાર્દિક પટેલને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ આ અરજી નોટ બિફોર મી કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી કરવામાં આવશે. અરજીમાં આક્ષેપ લગાવવામં આવ્યો છે કે પોલીસ હાર્દિકના ઘરે જીવન જરૂરી સામાન પણ પહોંચવા નથી દેતી. દૂધ-શાકભાજી, પાણી સહિતની વસ્તુઓ પોલીસ અટકાવી રહી છે. આ ઉપરાંત હાર્દિકને મળવા આવતા લોકોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.
તબિયતનું કારણ આપી રાજદ્રોહના કેસમાં હાર્દિક રહ્યો ગેરહાજર
શુક્રવારે સિટી સેશન્સ કોર્ટમાં રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હોવાથી ચાર્જ ફ્રેમની કાર્યવાહી વિલંબમાં પડી હતી. ગત મુદતે કોર્ટે હાર્દિકને ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. હવે આ કેસમાં આગામી કાર્યવાહી 14મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. હાર્દિકના વકીલે ઉપવાસનું બહાનું કાઢ્યું હતું. આ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી કે હાર્દિક દર વખતે સામાજિક કારણો અપીને કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેતો નથી. જેના કારણે બીજા બે આરોપીઓએ પણ ધક્કા ખાવા પડે છે. હાર્દિક આદેશ છતાં હાજર ન રહીને કોર્ટનો અનાદર કરી રહ્યો છે.
છઠ્ઠા દિવસે છ યુવાનોનું મુંડન, વાળ સરકારને મોકલાશે
ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિક સહિત છ જણાએ મુંડન કરાવ્યું હતું. હાર્દિકે વાળ ઝીણા કરાવ્યા છે. દર રોજ એક યુવાન મુંડન કરશે. ભગવાન ભાજપ સરકારને સદ્બુદ્ધિ આપે તેવા સંદેશા સાથે આ વાળ સરકારને મોકલાશે