![](https://gujarati.motiontoday.com/wp-content/uploads/2018/09/h1-1.jpeg)
અમદાવાદઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે સરકારનું 24 કલાકનું અલ્ટીમેટલ પૂર્ણ થતાં આજે મોડી સાંજે પુનઃ જળત્યાગ કરવાની જાહેરાત કરી છે. હાર્દિકે જળ ત્યાગ કરતાં જ સરકાર અને પોલીસ સતર્ક બની છે. જો કે સરકાર ગમે તે ઘડીએ પોલીસ મોકલી અડધી રાત્રે બાબા રામદેવાળી કરે તેવી અટકળો વહેતી થઈ છે. મોડી સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે ઉપવાસી છાવણીથી લઇ સોલા સિવિલ સુધીના રૂટનું રિહર્સલ પણ કર્યું છે એવી વાતોએ જોર પકડ્યું છે.
પોલિસની ટીમે ઉપવાસ છાવણીથી સોલા સિવિલ સુધી રિહર્સલ પણ કર્યું
મોડી સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર જે કે ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો અચાનક ઉપવાસના 13માં દિવસે હાર્દિકની છાવણીની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સરકારે હાર્દિકની બાબા રામદેવવાળી કરી અડધી રાત્રે પોલીસ અટકાયત કરે તેવી અટકળો વહેતી થઈ છે. પોલીસની ટીમે હાર્દિકની ઉપવાસી છાવણીથી લઈ સોલા સિવિલ સુધી રિહર્સલ પણ કર્યું છે.
પોલીસ ગ્રીનવુડથી વૈશ્વદેવી સર્કલ થઈ એસ. જી. હાઈવે ગાડીઓ લઈ સીધા સોલા સિવિલ પહોંચશે. સોલા સિવિલમાં હાર્દિકને ક્યાં વોર્ડમાં રાખવો અને ક્યા ડૉક્ટર તેને ટ્રિટ કરશે તે બધુ નિશ્વિત થયું હોવાની વાત જાણકાર સુત્રો દ્વારા મળી છે.અગાઉ રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી સૌરભ પટેલે ભૂતકાળમાં ઉપવાસ પર બેઠેલા બાબા રામદેવ પર પોલીસ અડધી રાત્રે ત્રાટકીને આંદોલનને સમેટવાનો પ્રયાસ કર્યો હતો તેનો ઉલ્લેખ કરતાં આવી વાતોને વધારે વેગ મળ્યો હોવાનું જણાય રહ્યું છે.
ગઈ કાલે સાંજે રાજ્ય સરકારને વાટાઘાટો માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપનારા હાર્દિક પટેલે 24 કલાક પૂરાં થતાં પુનઃ જળત્યાગ કર્યો છે. આજના દિવસ દરમિયાન બનેલા ઘટનાક્રમના પગલે સરકાર અને પાટીદાર આંદોલનકારીઓ વચ્ચે અનેક પ્રકારની ખેંચતાણ જોવા મળી છે. કોગ્રેંસના ધારાસભ્યોએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતા નીચે હાર્દિકના બંને મુદ્દાઓ સાથે વિજય રૂપાણીની મુલાકાત કરી હતી.
બીજી તરફ હાર્દિકના સમર્થનમાં હવે ધીરે ધીરે ખેડૂતો બહાર આવી રહ્યા છે. સુરતમાં તો વિવિધ સોસાયટીઓમાં ઉપવાસ-આંદોલન શરૂ થઇ ગયા છે. જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ સમર્થકો ઉપવાસ કરી રહ્યા હોવાથી તંત્ર ચિંતિત બન્યું છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર અનેક ગામો હાર્દિકના સમર્થનમાં બંધ પાડ્યું હતું સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર પણ ઉતર્યા હતા