PM મોદીની માતાની તબિયત હવે કેવી છે? સાંસદે કહ્યું- હીરાબા ICUમાં નથી, હોસ્પિટલે આપ્યું આ મોટું અપડેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત બુધવારે બગડી હતી, ત્યારબાદ તેમને અમદાવાદની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં (UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર) દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી પીએમ મોદી બપોરે અમદાવાદ પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત કરી હતી. મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હોસ્પિટલના ડાયરેક્ટર ડો.આર.કે.પટેલ પણ હતા. હોસ્પિટલે કહ્યું કે પીએમ મોદીની માતાની હાલત સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે.

હોસ્પિટલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીની માતા અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.” મળતી માહિતી મુજબ પીએમ મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમની માતાનો હાથ પકડીને તેમની પાસે બેઠા અને તેમની હાલતમાં સુધારો જોઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

પીએમ મોદીની માતા કોની સાથે રહે છે?

હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજ સાથે ગાંધીનગરમાં રહે છે. પંકજ ગુજરાત સરકારના નિવૃત અધિકારી છે. પીએમ મોદીની માતાની હાલત જાણવા હોસ્પિટલ જતા નેતાઓની લાઈન લાગી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા અને સાંસદ પરબતભાઈ પટેલ અને જુગલજી ઠાકોર સહિત રાજ્યના અનેક મંત્રીઓ, સાંસદો અને ટોચના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા.

હોસ્પિટલમાંથી બહાર આવતાં રાજ્યસભાના સાંસદ ઠાકોરે કહ્યું, ‘હીરાબાની હાલત સ્થિર છે. એક-બે દિવસમાં તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી તેમની માતા સાથે બેઠા હતા અને નિરાશ દેખાતા હતા, પરંતુ ઉમેર્યું હતું કે હીરાબાની સ્થિતિ સારી છે. ચિંતા કરવા જેવું કંઈ નથી.

‘હીરાબા ICUમાં નથી’

બનાસકાંઠાના લોકસભા સાંસદ પરબતભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે, ‘હીરાબા આઈસીયુમાં નથી અને તેઓ સતત ડોક્ટરોની દેખરેખમાં છે. એક-બે દિવસમાં તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

આ દરમિયાન અન્ય પક્ષોના નેતાઓએ હીરાબા જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ હિરાબાને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીને ટ્વિટ કર્યું હતું.

અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સભ્ય કડવા પાટીદારે ઉમિયા મંદિરમાં સાંજની વિશેષ આરતીનું આયોજન કર્યું હતું અને હીરાબાના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

Scroll to Top