GujaratNewsPolitics

ચોંકાવનારી હકીકત: મગફળીને બદલે સરકારે 50-100 કરોડ નહીં પરંતુ આટલા કરોડના ધૂળ-ઢેફાં ખરીદ્યા

છેલ્લા છ મહિનાથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે બહાર આવતી એક ચોંકાવનારી હકીકત અનુસાર. આ કૌભાંડમાં સરકારે 250 કરોડથી વધુની અધધધ રકમના ફક્ત ધૂળ અને ઢેફા જ ખરીદ્યા છે. એટલે કે આવડી મોટી રકમ ભ્રષ્ટાચારી તત્વોએ ખેડૂતોના નામે પોતાના ગજવામાં સેરવી લીધી છે. કદાચ તટસ્થ તપાસ થાય અને ગણતરી માંડવામાં આવે તો આ આંકડો તેનાથી પણ વધારે આગળ જઈ શકે છે.

સરકાર સામાન્ય રીતે દર વર્ષે ટેકાના ભાવે 2થી 2.5 લાખ ટન મગફળીની ખરીદતી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી માથે હોવાથી સરકારે પછેડી કરતા મોટી સોડ તાણીને 8.30 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી લીધી. ખરીદીના લક્ષ્યાંકનો આ વધારો જ કૌભાંડના મૂળમાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ તેમજ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક સેન્ટરોમાં આ કૌભાંડ વ્યાપકપણે આચરાયું છે.

કૂલ 8.30 લાખ ટન મગફળીની થયેલી ખરીદીમાં 20 ટકાથી વધારે મગફળી ધૂળ અને કાંકરાવાળી છે. એટલે કે દોઢથી પોણા બે લાખ ટન મગફળીમાં ભેળસેળ થઈ છે. તપાસ દરમિયાન 35 કિલોની મગફળીની કેટલીક બોરીમાં 10 થી 15 કિલો સુધી માટી અને ઢેફા નીકળ્યા છે. આ ગણતરી મુજબ દોઢથી પોણા બે લાખ ટનની કૌભાંડવાળી મગફળીમાં ૫૦થી ૬૦ ટન જેટલા માત્ર કાંકરા અને ધૂળની જ ખરીદી થઇ છે. સરકારે મગફળીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૪પ૦૦ મુજબ ટનના રૂ. ૪૫ હજાર ચૂકવ્યા છે. ધૂળ-કાંકરા સાથે તેનો ગુણાકાર કરતા આ રકમ આશરે ૨૫૦ કરોડ રૂપિયાથી પણ વધી જાય છે. ખેડૂતોના નામે આ રકમ કૌભાંડીયા તત્વો ચાંઉ કરી ગયા છે અને સરકારને આવડી મોટી રકમનો ચૂનો લગાવી દીધો છે.

આ ગણતરી લઘુતમ આંકડાઓને ધ્યાને રાખીને માંડવામાં આવી છે. જાણકાર સુત્રો તો ત્યાં સુધી કહે છે કે આઇસબર્ગની માફક આ કૌભાંડ જેટલું બહાર દેખાય છે તેનાથી અનેક ગણું વધારે છે. એક બાબત એ પણ નર્યું સત્ય છે કે આ કૌભાંડ કંઈ રાતોરાત આચરાયુ નથી. અલબત રાજ્યની તમામ મંડળીઓ ચોર નથી. કેટલીક મંડળીઓ ખુબ સારી છે. પરંતુ સૌરાષ્ટ્રની ૧પ થી ર૦ જેટલી મંડળીઓ આ મામલે ઘણા વર્ષોથી કૂખ્યાત છે. તેની સાથે સ્થાનિક મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી દર વર્ષે મગફળીની ખરીદીમાં કૌભાંડ ચાલે જ છે.

ટ્રક ડ્રાઇવરો અને મજૂરોએ જણાવ્યું ક્યાંથી ને કેવી રીતે આવી ધૂળ

ટ્રક ડ્રાઇવરો અને મજૂરોનું પોલીસે નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, માળિયાહાટીનાથી ધૂળ, કાંકરા અને માટીના ઢેફા ભરીને 4 ટ્રકો લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપુરના સાડીના બે ગોડાઉનમાં ભેળસેળ કરવામાં આવી હતી.

જેતપુરના વેપારીએ જ મગફળીમાં ભેળસેળ કરાવી હોવાનું મજૂરોએ કબુલ્યું હતું. મજૂરોએ જણાવ્યા મુજબ જેતપુરમાં અલંકાર ટ્રેડર્સ નામની દુકાન ધરાવતો વિશાલ સખરેલીયા નામનો વેપારી કેશોદના ઓઈલ મીલર રાજેશ વડાલીયાને સારી મગફળી આપી દેતો હતો. સામે ઓઈલ મીલર રાજેશ ખરાબ મગફળી મોકલતો અને તેમાં અમે ધૂળ અને કાંકરા ભેળવીને બારદાનમાં ભરી દેતાં.

પોલીસે આ અંગે પણ ટ્રક ચાલકોની પૂછપરછ કરી દસ્તાવેજો પણ ચકાસતા વિશાલ અને રાજેશની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલંકાર ટ્રેડર્સમાં તપાસ કરતાં બારદાનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આગળની તપાસ વધારવા બન્નેના રિમાન્ડ માગ્યા હતા જે 9 દિવસના મંજૂર થયા છે. તેમજ ગુજકોટના સુધીર મલ્હોત્રાની પૂછપરછ કરતા મગન ઝાલાવડિયાને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું.

આ પહેલા મગફળી કૌભાંડની ઓડિયો ક્લિપ વાયરલ થય હતી

ઓડિયોક્લિપમાં થતી વાતચીત

મગનભાઇ: માનસિંગભાઈ હવે જો સમાધાનમાં જો કંઈ ગણિત હોય તો મે નાફેડમાં વાત કરી લીધી છે. પણ મિનિસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કહે છે. મિનિસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઇને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરોમાં, અમે પુરૂ કરી નાખશું. ઉપરથી ટાઢું પાડો એટલે બે દિવસમાં રસ્તો નીકળી જશે.

માનસિંગભાઇ: નાફેડમાં મે ફોન કર્યો ત્યારે મને એવું કહ્યું કે, અમને કંઈ ખબર જ નથી.

મગનભાઇ: આ રોહિત અહીં ફોન પર ફોન કરી ઠેકડા મારે છે. એને બધાને ન ખબર હોય તેના બોસને જ ખબર હોય ને… પેલા તો તમે મંડળીવાળા મુલુભાઈ સાથે વાત કરી લ્યો અને તેને પૂછો કે જો તમે સમાધાન માટે તૈયાર હો તો હું બધો રસ્તો કાઢી લવ.

માનસિંગભાઇ: એની સાથે વાત થઇ કાલે વિકાસ કમિશનરમાં મારે તારીખ છે એ પતાવીને અમે બંને તમારી પાસે આવીશું.

મગનભાઇ: મારી પાસે આવવા કરતા પેલા તમે ઉપરથી પ્રેશર બંધ કરાવી દો. હું બે દિવસ ગોડાઉન ખોલીશ જ નહીં. કેમ કે GSW વાળાને પણ કહી દીધું છે કે ગમે તેની ડિલિવરી હોય તમે ગોડાઉન ન ખોલતા નહીં તો પ્રેસ-મિડિયા અને પોલીસવાળા પહોંચી જાશે. બાકી મને પણ પ્રેસવાળાનો ફોન આવે તો હું એમ જ કહું છું કે એક-બે બોરી એવી કોઇએ મૂકી દીધી હોય તો કેમ નક્કી થાય. આ અમારૂ કામ છે અમે જોઈ લેશું.

માનસિંગભાઇ: મુલુભાઈને કહી દવ કે કાલે ફળદુ સાહેબ પાસે આવી જાય

મગનભાઇ: હા એને કહો ફળદુ સાહેબને કહી દે આ ખરાબ મગફળી મારી એટલે કંઇ ન થાય.

ઓડિયો ક્લિપના વધુ અંશોમગનભાઈ કહે છે કે સરકારમાંથી પ્રેશર બહુ છે. એફઆઇઆર કોણ કરે હું તો અહીં બેઠો છું, ચિંતા નથી કંઇ, તમારે સમાધાનનો મૂડ હોય તો મારી પાસે બપોર સુધીનો જ સમય છે. વધુ સમય મારી પાસે પણ નથી. મને ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો ફોન હતો. મેં કહી દીધું મને ઝાડા-ઉલ્ટી છે. તબિયત બરોબર નથી. બે દિવસ આપો રસ્તો કરી લેશું. ત્રીજી ઓડિયોક્લિપમાં મગનભાઈ કહે છે કે, ફરિયાદ દાખલ કરવા જેતપુર જાવ છું. કલેક્ટર રાહુલ ગુપ્તાનો ફોન મુક્યો હજી. ગમે તેમ કરીને કલેક્ટરને રોકો અને રોકાય એમ હોય તો મને જાણ કરો.

પોલીસે મગન ઝાલાવડિયાના ઘરે પાડ્યા દરોડા

મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડિયાના ઘરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મગનનું ઘર તરઘડી ગામે આવેલું છે. પોલીસ દ્વારા મગન ઝાલાવડિયાના ઘરે દસ્તાવેજોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 2 કલાક સુધી દરોડાની કાર્યવાહી ચાલશે. ડીવાયએસપી સહિતના અધિકારીઓ દરોડામાં જોડાયા છે.

વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ લગાવ્યા આરોપ

વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે ગામમાં માટી ભરેલા ટેમ્પા પકડ્યા હતા, તમામ સેન્ટર પર ખેડૂતો પહોંચ્યા પણ ત્યાં ખેડૂતોની મગફળી સ્વીકારવામાં જ નહિ આવી. બધા સેન્ટરો પર માત્ર બીજેપીના મળતિયાઓની જ મગફળી સ્વીકારવામાં આવી, મગફળી સાથે આગની તમામ ઘટનાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું, વિધાનસભામાં પણ અમારા દ્વારા કૌભાંડ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તમામ મગફળીની બોરી પર લખાણ લખવામાં આવેલું છે કે બોરી ક્યાંની છે ? સીઆઇડી ક્રાઇમ દ્વારા આગના બનાવોમાં અવળી તપાસ કરવામાં આવી.

હજીસુધી ખબર નથી પડતી કે શા માટે સરકાર દ્વારા મીડિયાને સાથે રાખીને ગોડાઉન ખોલવામાં નથી આવતા. યોગ્યતા વગરની મંડળીઓને મગફળી લેવા માટેની પરમિશન આપવામાં આવી. સરકાર પગલાં લેવાના નિવેદનો કરે છે પરંતુ તપાસ કરતા જ નથી.

આ પહેલા પણ મગફળીમાં માટી સહિતના કૌભાંડ રાજકોટ જિલ્લામાં બહાર આવ્યા હતા. જે તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં નાફેડના ચેરમેન વાધજી બોડા એ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. વધુ એક કૌભાંડમાં નાફેડ ફરિયાદી બન્યું ન હતું અને નાફેડ અને ભાજપ સરકાર આમને-સામને આવી હતી.

મગફળી સળગી હતી ત્યારે પણ નાફેડના બદલે મગન ઝાલાવાડિયે ફરિયાદ કરી હતી. જો કે, નાફેડના ચેરમેન વાધજી બોડાએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, હજૂ તો ઘણુ બહાર આવશે. નાફેડ પાસે કોઇ સત્તા નથી. ગુણવતાના સર્ટિફિકેટ અમે ક્યાં આપ્યા છે, તો અમે કઇ રીતે ફરિયાદી બનીએ તેવા કટાક્ષ કર્યા હતા.

જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અલગ અલગ 6 ટીમ બનાવી કરવામાં આવશે તપાસ.દરેક ટીમમાં 1 નાયબ મામલતદાર, 2 પોલીસ અને 2 મજૂર નો સમાવેશ કરવામાં આવ્યો મગફળી ના દરેક કેરેટ માંથી રેન્ડમ 10 જેટલી બોરી ખોલી ચેકીંદ કરવામાં આવશે.

બોરીમાં કેટલા પ્રમાણમા માટી ભેળવવામાં આવે છે તે અંગે તપાસ કરવામાં આવશે. આવતીકાલ સવાર સુધીમાં તમામ ગણતરી કરી લેવામાં આવશે. કોના દ્વારા ભેળસેળ કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવશે. ગોડાઉનની અંદર ભેળસેળ થઇ કે ખરીદ ક્ષેત્રમાંથી તે અંગે તેમજ જૂનાગઢના મોટી ધણેજ સહકારી મંડળીમાં પણ તપાસ કરવામાં આવશે.

કૌભાંડ કોના ઇશારે થયું? પોલીસ હજુ સુધી બહાર લાવી શકી નથી

મગફળી કૌભાંડ અંગે ગત તા.1ના ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસથી જ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. અઠવાડિયામાં 29 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુખ્ય કાવતરાખોર તરીકે મગન ઝાલાવડિયા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર કૌભાંડ કોના ઇશારે થયું હતું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. મગન ઝાલાવડિયા સમગ્ર કૌભાંડ આચરી શકે તેવી શક્યતા દેખાતી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker