ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી. કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કોઈના ઘરના નળીયા ઉડી ગયા, કોઈના ઘર પડી ગયા અને અનેક લોકોએ કપરી પરિસ્થિતિનો સામનો કર્યો.
જોકે, ગુજરાતમાં વાવાઝોડાને પસાર થયે 1.5 મહિનો વીતી ગયો સામાન્ય અને ગરીબ માણસોની સ્થિતિ હજી સુધરી નથી. ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા નાનકડા દ્વીપ શિયાળ બેટ ખાતે તૌકતે વાવાઝોડાના કારણે અંધારપટ છવાયો હતો અને હજુ પણ સ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી. શિયાળ બેટના લોકો હજુ પણ અંધારામાં જ જીવી રહ્યા છે.
તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્રના કિનારે અથડાયું હતું જેથી અનેક ઘરો તથા વીજળી અને સંચાર લાઈનોને ક્ષતિ પહોંચી હતી. તેના 1.5 મહિના બાદ પણ અમરેલી જિલ્લાના પીપાવાવ બંદરેથી થોડે દૂર આવેલા નાનકડા શિયાળ બેટ દ્વીપના આશરે 6,000 રહેવાસીઓ અંધારામાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે.
ગત 17 મેના રોજ વાવાઝોડાના કારણે શિયાળ બેટ દ્વીપની વીજ સેવા ખોરવાઈ હતી. વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાને સૌથી વધારે નુકસાન સહેવું પડ્યું હતું. અમરેલીના આશરે 620 કરતા પણ વધારે ગામોને બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારનું સ્વામીત્વ ધરાવતી પીજીવીસીએલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરી ગુજરાતમાં વીજ સેવા પૂરી પાડે છે. પીજીવીસીએલે બાકીના તમામ ગામોમાં વીજ સેવા પૂર્વવત કરી દીધી છે પરંતુ શિયાળ બેટ દ્વીપ પર રહેતા 6,000 કરતા પણ વધારે લોકો હજુ પણ અંધારામાં જ છે.