ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં ભારે નુકસાન થયું હતું, તે અંતર્ગત ખેડૂતો માટે 546 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા મુલાકાત પણ લેવામાં આવી હતી. આ પેકેજ અંતર્ગત 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતમાં જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, 2.82 લાખ ખેડૂતોને આ પેકેજ હેઠળ લાભ મળવાનો છે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારાશે. ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજ દ્વારા કરવામાં આવ્યો છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની સાથે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, વાદળ ફાટવાથી ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં મુખ્યમંત્રી દ્વારા પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ મુસાફરો સુરક્ષિત રહેલા છે. તેની સાથે તેમણે એ પણ કહ્યું કે, દિવાળી પહેલા વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજથી લોન આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ સરકાર દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. જે બેંકોએ વ્યાજની રકમ કાપી હશે તે ખેડૂતોને તરત આપી દેવાશે.