![](https://gujarati.motiontoday.com/wp-content/uploads/2018/10/lalait-kathgra-1.jpg)
મોરબી જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગને લઇને મોરબીમાં રેલી સ્વરુપે વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો જોડાયા હતા. જેમાં પડધરીના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ચાલુ સીઝનમાં મોરબીના ડેમ ભરાશે તો, ધારાસભ્ય પદેથીરાજીનામું આવીશ. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ ખેડૂતોને સાથે રાખીને મોરબી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આજે ખેડૂતોની રેલી યોજાઇ હતી. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. મોરબી જિલ્લાના ખેડૂતોની કફોડી હાલતને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પડધરીના ધારાસભ્ય લલિત કગથરા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા અને હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરિયા ખેડૂતોની વિરોધ રેલીમાં જોડાયા હતા. વિરોધ રેલીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પડઘરીના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર અંગે જણાવતા કહ્યું હતું કે, “ચાલુ સીઝનમાં સૌની યોજના અંતર્ગત મોરબીના ડેમ ભરાશે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ”
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને રાજનિતી નથી કરતી.” આમ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને સાથે રાખીને મોરબી કલેક્ટરને આવેદન આપ્યું હતું.