CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને આદેશ- “કોઇના સાચા કામો અટકાવશો નહીં અને ખોટું કરનારાને રસ્તો બતાવી દેજો”

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યોને લઈને મહત્વની જાણકારી સામે આવી છે. જેમાં કેબિનેટના સભ્યોને કેટલાક મહત્વના આદેશ અપાયા છે. દિલ્હી હાઇકમાન્ડ તરફથી મંત્રીઓને જણાવવામાં આવ્યું છે કે, કોઇના સાચા કામો અટકાવશો નહીં અને ખોટું કરનારાને રસ્તો બતાવી નાખજો.

નવી સરકારમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે તેવી વચેટીયા પ્રવૃત્તિથી દૂર રહેજો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના મંત્રીઓએ એક પખવાડિયા સુધી ગાંધીનગર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

જ્યારે ત્રણ પૂર્વ મંત્રીઓને બાદ કરતાં 21 મંત્રીઓ પ્રથમ વખત મંત્રી બન્યા હોવાથી તેમને સરકારી કામગીરી શીખવી પડશે. પ્રત્યેક મંત્રીઓને તેમના વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને કાર્યવાહી સમજવાની રહેશે. કેબિનેટ અને ખાતાની ફાળવણી બાદ મંત્રીઓ તેમના વિસ્તારમાં જતા રહ્યાં છે, હવે તેઓ સોમવારના તેમના હોદ્દાનો ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.

કેબિનેટના સભ્યોને એવું પણ કહેવાયું છે કે, તેઓએ સરકારી કામ સિવાય કોઇ પ્રવાસ કરવાનો નથી. વિભાગોના અધિકારીઓ સાથે બેસીને ચાલુ વર્ષના બજેટના પેન્ડીંગ કામો પૂર્ણ કરવાના આદેશ પણ અપાયા છે. પ્રત્યેક મંત્રીએ તેમના વિભાગનું પરફોર્મન્સ દેખાડવું પડશે. આ સિવાય, આ નવનિયુક્ત મંત્રીઓને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવાની પણ સલાહ અપાઈ છે.

14 મહિના બાદ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના 150 પ્લસના ટારગેટને પૂર્ણ કરવા માટે હાઇકમાન્ડ અને પ્રદેશ એકમના કેટલાક એજન્ડા રહેલા છે જેને પૂર્ણ કરવાની જવાબદારી ભૂપેન્દ્ર પટેલની ટીમની આપવામાં આવી છે.

તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં જે કામો ઓનગોઇંગ હતા અને અને જે પ્રોજેક્ટ અધુરાં રહેલા છે તેને પૂર્ણ કરવા સાથે ચૂંટણી જીતવા કઇ નવી યોજના લાવી શકાય તેમ છે તેનું માર્ગદર્શન પણ આ સભ્યો પાસેથી મંગાશે. જ્યારે નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને કિરીટસિંહ રાણાને વહીવટી તંત્રનો અનુભવ રહેલો છે જ્યારે મોટાભાગના મંત્રીઓ નવા રહેલા છે. મંત્રીઓએ વધુ મહેનત કરીને તેમની કાબેલિયત દેખાડવી પડશે.

Scroll to Top