AhmedabadGujaratNewsPolitics

હાર્દિક ઉપવાસઃ PAASની પ્રેસ કોન્ફરન્સ, ‘સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ’

મનોજ પનારાએ જણાવ્યું કે સરકાર પાસે 24 કલાકનો સમય છે, 24 કલાક દરમિયાન સરકારે અમારી સાથે વાત શરૂ કરે, જો આવું નહીં કરે તો 24 કલાક બાદ હાર્દિક જળત્યાગ કરશે.

હર્દિક પટેલનું ઉપવાસ આંદોલનના 12માં દિવસે પણ યતાવત છે. ત્યારે બુધવારે સાંજે પાસના કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 24 કલાકમાં કોઇ નિવારણ નહીં આવે તો હાર્દિક જળત્યાગ કરશે.

શું કહ્યું મનોજ પનારાએ ?

પાસના કન્વીનર મનોજ પનારાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું કે હાર્દિક છેલ્લા 12 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ સરકારે ધ્યાનમાં લીધું નથી. દેશભરમાંથી નેતાઓ હાર્દિકની મુલાકાતે આવી રહ્યાં છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. આંદોલન તોડવા માટે સરકારના કેટલાક સમર્થકો મેદાને ઉતર્યા છે. અને સરકારે સૌરભ પટેલ થકી ધમકી આપી છે. પરંતુ અમે પીછેહટ કરવાના નથી.

24 કલાકનું અલ્ટીમેટમ

મનોજ પનારાએ જણાવ્યું કે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરતી નથી, આથી સરકાર પાસે 24 કલાકનો સમય છે, 24 કલાક દરમિયાન સરકારે અમારી સાથે વાત શરૂ કરે, જો આવું નહીં કરે તો 24 કલાક બાદ હાર્દિક જળત્યાગ કરશે, જળત્યાગ બાદ હાર્દિક પટેલને કાઇ થશે તો તેના માટે જવાબદાર માત્રને માત્ર સરકાર જ રહેશે.

સી.કે.પટેલ સરકારના એજન્ટઃ મનોજ પનારા

પાસ તરફથી મીડિયાને નિવેદન આપતા મનોજ પનારાએ કહ્યું કે, “સી.કે. પટેલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. સમાજની સંસ્થા સાથે જોડાયેલા હશે પરંતુ પાસની ઓથોરાઇઝ ટીમ સાથે તેમણે કોઈ ચર્ચા કરી નથી. રૂબરૂ કે ટેલિફોનિક કોઈ વાત નથી થઈ. હાર્દિકની મુલાકાતે સંસ્થાના આગેવાનો આવ્યા હતા તે પણ ઔપચારિક મુલાકાત હતી. હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી થવું તેવી કોઈ જ ચર્ચા મુલાકાત દરમિયાન થઈ નથી. આ ફક્ત શુભેચ્છા મુલાકાત જ હતી. ઘણા મિત્રો પાસના નામે ચરી ખાય છે. પોતાને પાસના નેતા બતાવે છે. સી.કે.પટેલ ભાજપના એજન્ટ બનીને દેવામાફી તેમજ પાટીદારને આંદોલન મુદ્દે વિલનની ભૂમિકા નિભાવી રહ્યા હોવાની અમને આશંકા છે. હાર્દિકને મળેલા પ્રતિસાદ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ થઈ રહ્યો છે. ખરેખર સરકાર સાથે વાતચીત થઈ હોય તો તેઓ આજ સાંજ સુધી આવીને હાર્દિક સાથે વાતચીત કરે.

સરકાર બોલાવશે તો અમે વાતચીત કરીશુંઃ પાસ

“ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકના સારા સ્વાસ્થ્ય તેમજ હાર્દિકને સમર્થન કરવા માટે આવ્યા હતા. પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવામાફી મુદ્દાઓને લઈને કોઈ પણ વ્યક્તિ મધસ્થી કરશે અથવા સરકાર સીધી જાહેરાત કરશે તો પણ અમને મંજૂર છે. સરકાર કંઈક આપવા માંગતી હોય અને તેનાથી પાટીદાર સમાજને લાભ થતો હશે તો અમે તેમની ઓફરનો સ્વીકાર કરીશું. સરકાર બોલાવશે તો અમે સામેથી પણ જઈશું. ભૂતકાળમાં પણ સરકારે બોલાવ્યા છે ત્યારે અમે ગયા છીએ. હવે લોલીપોપ આપવાની કે મેલી મુરાદ નહીં ચાલે. અમે છેતરાશું નહીં.”

પાસે ત્રણ કાર્યક્રમો આપવાની કરી જાહેરાત

પાસ તરફથી આગામી દિવસોમાં ત્રણ કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણેઃ

1) ગુરુવારે ગુજરાતના 182 એમએલએ, 26 સાંસદ અને ગુજરાતના તમામ રાજ્ય સભાના મેમ્બરોને પાસ અને ગુજરાતનો ખેડૂત સમાજ ફોન કરીને ખેડૂતોના દેવા માફીમાં સહમત છો કે નહીં, પાટીદાર સમાજને આરક્ષણ મળવું જોઈએ કે નહીં, તે બે મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવશે. આ જવાબને રેકોર્ડ કરીને હાર્દિક પટેલ સુધી પહોંચાડવામાં આવશે.

2) શુક્રવારે એક ફોર્મ લઈને ગુજરાતના તમામ 182 ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના મેમ્બરોના ઓફિસ અને ઘરે પાસના કાર્યકરો પહોંચશે. જેમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ અંગે તેઓ સહમત છે કે નહીં તેની સહિ લેવામાં આવશે. જો કોઈ ફોર્મ પર સહિ આપવાનો ઇન્કાર કરશે તો એવું માની લેવામાં આવશે કે તેઓ હાર્દિક સાથે સહમત નથી.

3) રવિવારના રોજ પાટણથી મા ખોડના મંદિરથી ખેડૂત સમાજ ઉમા-ખોડલનો રથ લઈને ઉંઝા ધામમાં આવશે. આ રથ પાટણથી પગપાળ ઉંઝા આવશે. રસ્તામાં આવતા તમામ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનો રથનં સ્વાગત કરશે. આ રથ ઉંઝા પહોંચ્યા બાદ હાર્દિકના સારા સ્વાસ્થ્ય અને ભગવાને સરકારે સદબુદ્ધિ આપે અને પાટીદારોને અનામત મળે તે માટે પાર્થના કરવામાં આવશે.

હાર્દિકને મળનાર નરેન્દ્ર મોદી અને ગુજરાત વિરોધી: સૌરભ પટેલ

બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ. સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.

આંદોલન સમગ્ર દેશમાં લઇ જવાશે, ગુજરાત મોડલ નહીં ચાલે: શત્રુઘ્ન સિન્હા

ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ હાર્દિકના નિવાસ સ્થાને મુલાકાત કરીને હાર્દિકના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. 11માં દિવસે ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને સાંસદ શત્રુધ્ન સિંહાએ હાર્દિકના નિવાસસ્થાને મુલાકાત કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો જેવા કે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેનો શત્રુધ્ન સિંહાએ જવાબ આપ્યો હતો કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી પરંતુ સર્વપક્ષો પ્રેરિત છે. ઉપરાંત સિંહાએ જણાવ્યું કે, ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું છે, હાર્દિક પટેલના આંદોલનને દેશવ્યાપી બનાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker