![](https://gujarati.motiontoday.com/wp-content/uploads/2018/09/Presentation1-13-1.jpg)
ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે મંગળવારે હાર્દિક પટેલના ઉપવાસનો 11મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. આજે ઉપવાસના 11માં દિવસે મેડકિલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસમાં હાર્દિક પટેલના વજનમાં ધરખમ ઘટાડો થયો છે.
તો બીજી તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ છે. પાટીદાર સમાજની તમામ છ સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. સુત્રોના જણાવવા માટે આ બેઠકમાં તમામ સંસ્થાઓની પ્રાથમિકતા હાર્દિક પટેલના પારણાં કરાવવાની રહેશે. આ ઉપરાંત હાર્દિક પટેલની માગણી અંગે પણ ચર્ચાઓ કરી હતી.
બેઠક બાદ સંસ્થાઓ તરફથી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ” પાટીદાર સમાજનો દીકરો 11 દિવસથી ઉપવાસ ઉપર છે. ત્યારે પાટીદાર સમાજની સંસ્થાઓને આ અંગે ચિંતા થવી સ્વાભાવીક છે. ગઇ કાલે હાર્દિક તરફથી એવી વાત આવી કે સમાજની છ સંસ્થા મળીને પારણાં કરાવે તો એને પારણાં કરવાની તૈયારી છે. એના અનુસંધાને હાર્દિકને કહ્યું કે, આ અંગે પ્રેસનોટ આપો તો છ સંસ્થાઓ મળશે. આ અનુસંધાને આજે તાકીદે આ બેઠક કરી હતી.
જેમાં છ એ છ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમાર સંસ્થાઓનો એવો સૂર આવ્યો કે સમાજના પ્રશ્નોની ચિંતા સંસ્થાઓ હરહંમેશ કરતી રહે છે. આજના અને પહેલાના પ્રશ્નો અંગે સરકાર સાથે ચર્ચા કરશે અને નિરાકરણ લાવશે. હાર્દિક અંગે સમાજના દરેક લોકો ચિંતા કરી રહ્યા છે અને તે વહેલી તકે પારણાં કરે. જો આ અંગે તેમનો વિચાર હશે તો છ સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ આવીને એમને પારણાં કરાવશે.”
મળતી માહિતી પ્રમાણે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ ગઇ હતી. ત્યારે તમામ છ સંસ્થા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, સીદસર ઉમિયા માતાજી સંસ્થાન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાન સુરત, કાગવડ ખોડલધામ અને અમદાવાદ સરદારધામ સંસ્થાનના અગ્રણીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તમામ છ સંસ્થાઓના 4-4 પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. જેમાં લવજી બાદશા, મથુર સવાણી, સીક કે પટેલ, પ્રહલાદભાઇ પટેલ, જેરામ બાપા, આર.પી. પટેલ અને ડી.એન. ગોલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા