અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ગિરીશદાન ગઢવીની પુત્રી સોનલ ગઢવી ગુરૂવારના રોજ બપોરના ‘મરવા જાઊં છું’ નો ઓડિયો અને ચિઠ્ઠી લખીને અચાનક ગુમ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તે છેલ્લાં ત્રણ મહિનાથી પિતાનાં ઘરે જ રહી રહ્યા હતા. સોનલબેનનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરની નર્મદા કેનાલ મળી આવ્યું હતું. જેના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા કેનાલમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના સુપ્રીટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા અને ટીમ દ્વારા કેનાલમાં સ્પેશ્યલ બોટ ઉતારી યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમ છતાં સવાર સુધી કોઇ ખબર સામે આવ્યા નથી.
આ બાબતમાં માહિતી અનુસાર સોનલબેનના લગ્ન 14 વર્ષ પહેલા ભરૂચનાં પીઆઈ પી.એસ. ગઢવીનાં દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયેલા હતા. તેની સાથે તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી પણ છે. બીજી તરફ તેમના સાસરિયાઓ તેમને હેરાન કરતા હોવાને કારણે છેલ્લાં ત્રણ મહિનાથી પિયરમાં જ રહેવા લાગ્યા હતા. સોનલબેનનાં પતિ અવારનવાર તેમને મરવાની ધમકીઓ આપતા હતા અને ઘરે પાછી આવવાનું જણાવતા હતા.
સામે આવેલી માહિતી મુજબ, પતિ અને સાસરિયાઓનાં ત્રાસનાં કારણે સોનલબેને કંટાળીને આવું પગલું ભર્યું છે. ગુરૂવારના સોનલબેન ઘર છોડતાં પહેલા એક ચિઠ્ઠી લખીને ગુમ થયા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘એ મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, એ શું મરવાનો હતો હું જ તેને મરીને બતાવી દઈશ, હું મરવા જાઊં છું.’ તેની સાથે તેમણે ગુરૂવારના બપોરે 1.53 કલાકે પિતાને ઓડિયો મેસેજ પણ મોકલ્યો હતો, જેમાં કહ્યું હતું કે, ‘એ મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, એ શું મરવાનો હતો હું જ તેને મરીને બતાવીશ. હું એવી રીતે મરીશ કે તમને કદાચ હું મળીશ પણ નહિ.’ તેમ છતાં, આ મેસેજ કર્યા બાદ સોનલબેનનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને તેના કારણે તપાસે જોર પકડ્યું હતું.
તેના કારણે દુધરેજ પાસેની કેનાલમાં સતત શોધખોળ બાદ પણ તેમની જાણકારી ન મળતા હાલ સોનલબેન ક્યાં છે તે એક રહસ્ય બનેલ છે. હાલ પરિવારજનોમાં ભારે ચિંતામાં આવી ગયું છે.