અત્યારે સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે, કોવેક્સિનમાં વાછરડાના સીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને લઇને RTIના જવાબ અને કૉંગ્રેસમાં ડિઝિટલ કૉમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાના કૉર્ડિનેટર ગૌરવ પાંધીએ ટ્વીટ કર્યું હતું અને આ જ ટ્વીટ બાદ એક નવો વિવાદ સર્જાયો છે. પાંધી તરફથી દાવો કરવામાં આવ્યો છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કોવિડ-19 વેક્સિન કોવેક્સિન બનાવવામાં કરવામાં આવે છે. ગૌરવ પાંધીએ કહ્યું કે, કોવેક્સિનમાં વાછરડાના સીરમનો ઉપયોગ થયો છે.
ત્યારે હવે આ મામલે સરકારે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે, તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. પીઆઈબી દ્વારા બહાર પડેલા એક નિવેદનમાં કહેવાયું છે કે ‘કોવેક્સીનની સંરચના અંગે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે રસીમાં વાછરડાનું સીરમ હોય છે. તે સાચું નથી અને તથ્યોને તોડી મરોડીને રજૂ કરાયા છે. પીઆઈબીએ વધુમાં કહ્યું કે ‘વેરો કોશિકાઓનો ઉપયોગ કોશિકા જીવનને સ્થાપિત કરવા માટે કરાય છે. જે રસીના ઉત્પાદનમાં મદદ કરે છે. પોલિયો, રેબીઝ અને ઈન્ફ્લુએન્ઝાની રસીઓમાં દાયકાઓથી આ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.’
નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ વેરો સેલના વિકાસ માટે કરવામાં આવે છે. વેક્સિન બનાવવામાં દાયકાઓથી ઉપયોગ થતી આ ટેકનિક છે. ફાઇનલ કોવેક્સિન ડોઝમાં સીરમનો ઉપયોગ નથી કરવામાં આવતો. પાંધીએ એક આરટીઆઈ પ્રતિક્રિયાને આધાર બનાવીને દાવો કર્યો કે, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ભારત બાયોટેક દ્વારા નિર્મિત વેક્સિનમાં નવજાત વાછરડાનું સીરમ હોય છે, જેની ઉંમર 20 દિવસથી પણ ઓછી હોય છે.