કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 3 દિવસ માટે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. અમિત શાહ 11 જુલાઈના રોજ સવારે બોપલ,વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહર્ત કરી તેનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ 12 તારીખે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે. અમિત શાહના આગમનને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આવતીકાલે તેઓ અમદાવાદ આવી પહોંચશે.

11 તારીખે બોપલ,વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહર્ત કરી સાબરમતી, નવા વાડજ વિસ્તારમાં આવેલ પમ્પિંગ સ્ટેશનના લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદના ઘુમામાં નર્મદાનું પાણી પહોંચાડવાની યોજનાનું ખાતમૂહર્ત કરશે, 90 કરોડના ખર્ચે આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વિસ્તારો માટે તેમણે પહેલા જ નર્મદાનું પાણી પહોંચાડવાની જાહેરાત કરી હતી.

અમિત શાહ 12 જુલાઈએ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર મંગળા આરતી કરશે. દર વર્ષે તેઓ રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજરી આપે છે. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે. જેમાં ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવિદાન કાર્યક્રમમાં હાજરી આપશે. તો સાથે જ તેઓ નારદીપુર ખાતે તળાવનું લોકાર્પણ કરશે.

Scroll to Top