India

સરકારી વકીલે હાઇકોર્ટમાં કહ્યું, લોકો હાર્દિક પટેલના ઘરે જઈ શકે છે…જાણો વિગતવાર

ઉપવાસ પર બેસેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના ઘરે પોલીસ પહેરા બાબતે કરવામાં આવેલી અરજી બાબતે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. PAAS દ્વારા આ અરજી કરવામાં આવી હતી અને હાર્દિકના વકીલ બી.એમ.માંગુકીયાએ પુરાવા સાથે દલિલો પણ કરી હતી કે પોલીસ દ્વારા હાર્દિકના ઘરે પ્રવેશતા રોકવામાં આવે છે. પરંતુ સરકારના વકીલે કહી દીધું હતું કે, કોઈને રોકવામાં નથી આવતા.

સરકાર તરફથી કેસ લડી રહેલા વકીલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, કલમ 144 છે, એટલે ધ્યાન રાખવામાં આવે છે. કોઈને રોકવામાં નથી આવતા. પોલીસ કોઈ હેરાનગતી નથી કરી રહી. આ મુદ્દે હાઇકોર્ટે સરકારને એફિડેવિટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. સરકારે સાથે એવું પણ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની તબિયત ખરાબ હોવાથી તેને હોસ્પિટલમાં એડમીટ થવું જોઈએ. હવે વધુ સુનાવણી 4 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ગઇકાલે હાઇકોર્ટના જજ પી.પી.ઢોલરિયાએ અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો…

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના ઘર પોલીસ દ્વારા લોકોને અટકાવવા અંગે, સામાન અટકાવવા અંગે અને પ્રવેશબંધી અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા કરવામાં આવેલી અરજીને હાઇકોર્ટમાં આજે સુનાવણી હતી, પરંતુ હાઇકોર્ટના જજ પી.પી.ઢોલરિયાએ અરજી ‘નોટ બીફોર મી’ કરી હતી. એટલે કે જજે આ અરજી પર મેટર સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઈને PAASના વકીલે પણ આ મામલે તાત્કાલીક સુનાવણી કરવા માટે ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ હવે આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ આ અરજી પર સુનાવણી કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને પોતાના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો છે અને પોલીસ ખાવા પીવાનો સામાન પણ રોકી રહી છે, તેને લઈને PAAS દ્વારા અરજી કરવામાં આવી હતી. જજ પી.પી.ઢોલરિયાએ ‘નોટ બીફોર મી’ કરતા હવે આ અરજીની સુનાવણી કોઈ અન્ય જજ હાથ ધરશે. આ અંગે ચીફ જસ્ટીસને રજૂઆત કરવામાં આવશે અને પછી ચીફ જસ્ટીસ નક્કી કરશે કે આ કેસ કયા જજને સોંપવો.

હાર્દિકનો દાવો: 60 હજારથી વધુ લોકો મળવા આવ્યા, પોલીસે માત્ર 1124ને જ આવવા દીધા

હાર્દિકે દાવો કર્યો છે કે, તેને 60 હજારથી પણ વધુ સમર્થકો મળવા માટે અમદાવાદ સુધી આવ્યા, પરંતુ પોલીસે તેમાંથી માત્ર 1124 લોકોને જ તેના ઘર સુધી આવવા દીધા.

હાર્દિકે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, બંધારણમાં કોઈ નવી કલમ ઉમેરાઈ છે કે શું? મારા ઘરમાં કોણ આવશે અને કોણ નહીં આવે તેનો ફેસલો પણ હવે પોલીસ અને ભાજપ કરશે? છેલ્લા પાંચ દિવસથી તો કંઈક આવું જ લાગી રહ્યું છે. મહત્વનું છે કે, હાર્દિકને મળવા ગઈકાલે મધ્યપ્રદેશથી કેટલાક લોકો આવ્યા હતા, પરંતુ પોલીસે તેમાંથી માત્ર 20 લોકોને જ હાર્દિકના ઘર સુધી જવા દીધા હતા.

આજે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પણ હાર્દિકને મળવા આવ્યા હતા. હાર્દિકના ઘરની બહાર તૈનાત પોલીસે સંજીવ ભટ્ટની પણ વિગતો નોંધી હતી. ગઈકાલે આવેલા એનસીપીના નેતા પ્રફુલ પટેલને પણ પોલીસ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. હાર્દિકના ઘરની બહાર હાલ પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવાયો છે, અને ત્યાં વધુ લોકો ભેગા ન થાય તેની પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે.

ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે અભિમન્યુની જેમ સાત કોઠા પસાર કરવા પડે છે. પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસ માટે પોલીસે અન્ય કોઇ સ્થળની મંજૂરી ન આપતા હાર્દિક પોતાના ગ્રીનવુડ ખાતેના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા હાર્દિકને મળવા માટે સામાન્ય પ્રજાને જવા દેવામાં આવતી નથી.

300 મીટરે અંતરે પોલીસ

હાર્દિકના છત્રપતિ નિવાસથી દોઢ કીમી દુર આવેલા ગ્રીનવુડના મેઇન ગેટથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ચેકિંગ દર 300 મીટરના અંતરે કરવામાં આવે છે. આમ હાર્દિકને મળવા માટે સામાન્ય જનતાને પ્રવેશ નથી પરંતુ કોઇ નેતાને હાર્દિકની ઉપવાસી છાવણી સુધી પહોંચવું હોય તો પોલીસના સાત કોઠા ફરજીયાતપણે પસાર કરવા પડે છે.

એન્ટ્રી ગેટથી પોલીસ હાર્દિકને મળવા જનારને પાછા મોકલી દે છે

અમદાવાદની ફરતે આવેલા એસ પી રિંગ રોડ પરના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા છત્રપતિ નિવાસમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી હાર્દિકના સમર્થનમાં લોકો આવે છે પરંતુ પોલીસ તેમને ગ્રીનવુડ રિસોર્ટના એન્ટ્રી ગેટથી જ રવાના કરી દે છે. સામાન્ય રીતે હાર્દિકના ઉપવાસના સ્થળ સુધી પહોંચવા માટે અભિમન્યુના ચક્રવ્યુહની જેમ ચારે તરફ પોલીસ ગોઠવી દેવામાં આવી છે જ્યાં કોઇને પહોંચતા પહેલા પોલીસ ચેંકિંગમાંથી પસાર થવુ પડે છે.

હવે તમારા ઘરમાં કોણ આવશે તે પણ ભાજપ અને પોલીસ નક્કી કરશે: હાર્દિક

હાર્દિકે તેના ઉપવાસ સ્થળે લોકોને અટકાવાતા હવે તમારા ઘરમાં કોણ આવશે તે પણ ભાજપ અને પોલીસ નક્કી કરશે તેવો સવાલ કરતા આકરા પ્રહાર જારી રાખ્યા હતા.

હાર્દિકનું સોલા સિવિલના તબીબોએ તબીબી પરીક્ષણ કર્યા બાદ બ્લડ પ્રેશર અને સુગર તથા બાકીના રિપોર્ટ નોર્મલ હોવાનું જણાયું હતું. બુધવારે વધુ વજન ઘટતા વધુ પ્રવાહી લેતા હોસ્પિટલમાં દેખરેખ હેઠળ દાખલ થઇ જવું જોઇએ તેમ જણાવ્યું હતું. જો કે પાસના પ્રવક્તા નિખિલ સવાણી દ્વારા એવો દાવો કરાયો હતો કે, મંગળવારે તબીબોએ બ્લડ સેમ્પલ લીધું હતું તેનો રિપોર્ટ ના અપાતા તેમજ મેડીકલ અપડેટની કોપી ન અપાતા ખાનગી ડોકટરને બોલાવીને ફરી બ્લડ અને યુરિન સેમ્પલ લેવડાવી હાર્દિકનું તબીબી પરીક્ષણ કરાશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker