પીએનબી કરતાં પણ મોટું કૌભાંડ આવ્યું સામે, આ કંપનીએ કર્યું 30,000 કરોડનું કૌભાંડ

દિલ્હી અને એનસીઆરમાં નીરવ મોદીનાં પીએનબી કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવ્યું હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે. રિયલ એસ્ટેટ કંપની SRS ગ્રૂપ પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના આરોપો લગાવાયા છે. રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સૌથી મોટો ગોટાળો હોવાનું મનાય છે.

રોકાણકારોનો આરોપ છે કે ગ્રૂપ દ્વારા બેન્ક લોન સહિત રૂ. 30,000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કંપની સામે 22 જેટલા કેસ કરાયા છે. હરિયાણા પોલીસે SRS ગ્રૂપના ચેરમેન અનિલ જિંદાલ સહિત પાંચ અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં બિશન બંસલ, નાનકચંદ તાયલ, વિનોદ મામા અને દેવેન્દ્ર અધાનાનો સમાવેશ થાય છે. ગ્રૂપ દ્વારા બેન્કો પાસેથી કરોડોની લોન લીધા પછી તેને પરત ન ચૂકવાઈ હોવાનો આરોપ છે.

લોકોને ફ્લેટનું વચન આપીને કરોડો ખંખેરી લીધા
ગ્રૂપના ચેરમેન અને અન્ય અધિકારીઓ સામે ફરીદબાદમાં ફરિયાદ કરાયાના એક મહિના પછી પોલીસે પાંચ આરોપીઓને પકડયા હતા. આરોપીઓએ લોકોને ફ્લેટ આપવાનું વચન આપીને તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ગુપ્ત બાતમીને આધારે પોલીસે મહિપાલપુરમાં એક હોટેલમાંથી 4 એપ્રિલે મોડી રાત્રે પાંચેયને પકડયા હતા. પોલીસે ફ્લેટ લેવાનાં બહાને જેમણે પૈસા આપ્યા છે તેમને પુરાવા રજૂ કરવા અપીલ કરી છે. ફરીદાબાદના સેક્ટર 21ના પોલીસમથકમાં તેમની સામે છેતરપિંડીની કલમ 420 સહિત અન્ય કલમો લગાડાઈ છે.

આરોપીઓ સામે 22 કેસ ઉપરાંત બીજા 100 કેસ કરાયા હોવાની તપાસ કરાઈ રહી છે તેમ ડીસીપી વિક્રમ કપૂરે જણાવ્યું હતું. કોર્ટમાં રજૂ કરાયા પછી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં નીમકા જેલ મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે તેમને સેશન્સ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે.

કંપનીનો અન્ય રાજ્યોમાં પણ કારોબાર
કંપની રિયલ એસ્ટેટ ઉપરાંત જવેલરી, સિનેમા, રિટેલ સેક્ટર અને હોટેલ ઉદ્યોગમાં સક્રિય છે. અનિલ જિંદાલ ગ્રૂપના સ્થાપક અધ્યક્ષ છે. કંપનીનું કુલ ટર્નઓવર રૂ. 5,389 કરોડ છે. કંપની દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ અને રાજસ્થાનમાં તેનો કારોબાર ધરાવે છે.

દિલ્હી-NCR માં નીરવ મોદીને પણ ટક્કર મારે એટલું મોટું કૌભાંડ સામે આવ્યું…જાણો વિગત  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top