મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓ મધ્યપ્રદેશના રાજગઢ સ્થિત કસ્તૂરબા નામક વિદ્યાર્થિનીઓની હોસ્ટેલની છાત્રાઓને મળવા માટે ગયા હતા અને ત્યાં પહોંચીને આનંદીબેન પટેલે છોકરીઓને રાંધતા શીખવાની અને વાળ નહીં કાપવા માટેની સલાહ આપી હતી.
જો રાંધતા નહીં આવડે તો સાસુની સાથે ઝઘડો થશે<
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલે હોસ્ટેલની છાત્રાઓને કહ્યું હતું કે જો છોકરીઓ દાળ બનાવવાનું નહીં શીખે તો જ્યારે તેમના લગ્ન થશે ત્યારે સાસુની સાથે ઝઘડો થવા માટેનું આ પ્રથમ કારણ બનશે.
આ સાથે તેમણે છાત્રાઓને વાળ નહીં કાપવાની સલાહ આપતા કહ્યું હતું કે તે મહિલાઓની શાન છે. આ સાથે તેમણે ત્યાં હાજર છોકરીઓને શાકભાજી સમારવાની અને લોટ બાંધવાની સલાહ પણ આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છોકરીઓએ સાથે મળીને રાંધવું જોઈએ જેના કારણે તેઓ રાંધવાનું શીખી શકે.
આનંદીબેને વિદ્યાર્થિનીઓની સાથે પ્રશ્નોત્તરી પણ કરી
આ દરમિયાન આનંદીબેને આ છોકરીઓને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પણ નામ પૂછ્યા હતા. જે છોકરીઓએ આ પ્રશ્નના ખોટા જવાબ આપ્યા તેમના માટે આનંદીબેને વોર્ડનને સ્પેશિયલ ક્લાસ શરૂ કરવા માટેનું કહ્યું હતું કે જેથી છાત્રાઓ દેશના નેતાઓના નામ જાણી શકે.