India

હાર્દિકનો CMને પત્ર, શું ગુજરાતમાં જનતાને પ્રશ્ન પૂછવાનો અધિકાર ઝૂંટવાઈ રહ્યો છે? જાણો શું કહ્યું રૂપાણી ને

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલન મામલે વારંવાર માંગણી કરવા છતાં જગ્યા ન આપવાને લઈ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. હાર્દિકે પત્રમાં લખ્યું કે, શું ગુજરાતમાં જનતાને પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો, સરકારની નીતિઓથી અસહમતિ દર્શાવવાનો અધિકાર પણ ઝૂંટવાઇ રહ્યો છે? જેથી અમને ઉપવાસ આંદોલનની પરવાનગી ના આપવી એ નામદાર સુપ્રીમ કોર્ટ અને બંધારણે આપેલ અધિકારનો ભંગ થયો ગણાશે. જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે.

આ પત્રમાં હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન બંધારણીય હક્ક હોવાનું જણાવી સરકારને સહયોગ આપવા માટે વિનંતિ કરી છે.

જુલ્મી શાસન સામે અવાજ ઉઠાવવો ભારતની સ્વીકૃત પરંપરા

આજથી 71 વર્ષ પહેલા દમનકારી અને જુલ્મી શાસન વ્યવસ્થા સામે સત્યાગ્રહ, ઉપવાસ આંદોલનો, સવિનય કાનૂન ભંગ, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો, અહિંસક અને શાંતિપૂર્ણ સંઘર્ષ દ્વારા ભારતને આઝાદી મળી. દમનકારી અને જુલ્મી શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવા કાયદા અને બંધારણની મર્યાદામાં રહી શાંતિપૂર્ણ અહિંસક આંદોલન કરવા એ ભારત દેશની પ્રણાલિકાની સ્વીકૃત પરંપરા છે અને એટલે જ ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને પોતાના હક્કો અને અધિકારો માટે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર પ્રાપ્ત છે.

જગ્યા ફાળવવા વારંવાર લેખિત કરી માંગણી

ગુજરાતમાં ખેડૂતોને થઇ રહેલા અન્યાય અને પાટીદાર સમાજ અનામતથી વંચિત હોવાના મુદ્દાઓ સાથે અમોએ 25/08/2018નાં રોજ કાયદા અને બંધારણની મર્યાદામાં રહી શાંતિપૂર્ણ અહિંસક ઉપવાસ આંદોલનમાં બેસવાની ઘોષણા કરી છે. ઉપવાસ આંદોલનમાં મારી સાથે સામાજિક કાર્યકરો, ખેડૂતો અને સામાજિક આગેવાનો જોડાવાના છે. જે માટે જરૂરી પરવાનગી અને જગ્યાની ફાળવણી માટે તંત્રને અમારા દ્વારા વારંવાર લેખિત અને મૌખિક માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદીન સુધી અમોને ઉપવાસ આંદોલન કરવા માટેની જરૂરી પરવાનગી આપવામાં આવી નથી કે, ઉપલબ્ધ સ્થળો હોવા છતાં ઉપવાસનાં આયોજન માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી.

કાયદાની મર્યાદામાં રહીને ઉપવાસ અને ધરણાં કરવાનો, લોકશાહી દેશમાં સરકારનાં નિર્ણયો અને નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો અમોને ભારતનાં બંધારણના આર્ટીકલ 19(1) (એ) અને આર્ટિકલ 19(1) (બી) મુજબ મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે.

ઉપવાસ આંદોલનને ગેરબંધારણીય ગણાવી શકાય નહીં

નામદાર સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટનાં ચુકાદાઓ અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો અમને હક્ક અને અધિકાર છે. અમારી માંગણીઓ અને અવાજ સરકારને સંભળાય તે માટે શાંતિપૂર્ણ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન કરવા એ અમારો મૌલિક બંધારણીય મૂલ્યવાન અધિકાર છે. નામદાર સુપ્રીમ કોર્ટે 2012માં રામલીલા મેદાનમાં બનેલા બનાવ અંગે ચુકાદો આપતા સમયે નોંધ્યુ હતુ કે

“Hunger strike cannot be termed as unconstitutional or barred under any law. Hunger strike is a form of protest which has been accepted, both historically and legally in our constitutional jurisprudence

(ઉપવાસ આંદોલનને ગેરબંધારણીય ગણાવી શકાય નહીં કે કોઈ કાયદા હેઠળ અવરોધી શકાય નહીં, ઉપવાસ આંદોલન એ પ્રદર્શનનો એક પ્રકાર છે અને તે ઐતિહાસિક દ્રષ્ટીએ અને કાયદાકીય રીતે આપણા બંધારણમાં સ્વીકાર્ય છે).”

અમિત શાહ અને મોદી સાહેબે પણ ઉપવાસ કર્યા હતા

લોકશાહીમાં શાંતિપૂર્ણ આંદોલન થતા આવ્યા છે, આપની રાજકીય પાર્ટી સત્તામાં હોવા છતાં આપણા ભારત દેશનાં વડાપ્રધાન મોદી સાહેબે, ભાજપનાં પ્રમુખ અમિત શાહ અને ભાજપનાં સંસદ સભ્યો તથા તમામ કાર્યકરો નેતાઓએ 12/04/2018ના નાં રોજ ઉપવાસ કર્યા હતા, જેમાં ભાજપ દ્વારા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને તે ઉપવાસમાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યુ હતુ.અમારી માંગણીઓ માટે ઉપવાસ આંદોલન કરવું એ ભારતનાં બંધારણ અને સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓ મુજબ અમને પ્રાપ્ત થયેલો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.

બંધારણે અમને આપેલ કાયદેસરનાં અહિંસક હથિયાર ઉગામતા અમોને રોકવામાં આવશે તો એ ભારતનાં બંધારણ અને ન્યાય પ્રણાલિકાએ સ્થાપિત સિંધ્ધાતોનાં વિરુદ્ધનું કૃત્ય ગણાશે.

કાયદાનો ભંગ ન થવા અંગે તંત્રને બાહેંધરી આપી છે અને આપીએ છીએ

અમે તંત્રને બાંહેધરી આપી છે અને આપીએ છીએ કે અમારા ઉપવાસ આંદોલનથી કોઇ પણ પ્રકારનાં કાયદો અન વ્યવસ્થાનો ભંગ નહીં થાય. અમે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપીશુ.

અમારું આંદોલન ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક કાયદા અને બંધારણની જોગવાઇઓને આધિન રહેશે. આંદોલન દરમિયાન વ્યવસ્થાનાં ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા જે આદેશો અને નિર્દેશો આપવા આવશે, અમે તેનું ચોક્કસ પાલન કરીશું.

આંદોલનની પરવાનગી ન આપવી એ મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત કરવાનું કૃત્ય

ઉપવાસ આંદોલનને કાયદો અને બંધારણની સ્વીકૃતિ હોવા છતાં તંત્ર દ્વારા અમોને પરવાનગી નહીં આપવી અને પ્લોટની ફાળવણી ન કરવી એ સરકારની હતાશા સૂચવે છે. અમોને અમારા મૂળભૂત અધિકાર માટે સુવિધા પૂરી પાડવી એ તંત્રની હકારાત્મક જવાબદારી છે. અમને ઉપવાસ આંદોલન કરવાની પરવાનગી ના આપવી એ ખરી હકીકતે કાયદા અને બંધારણ વિરુદ્ધ નાગરિકોનાં મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત કરવાનું કૃત્ય છે. જેનાથી સરકારની પોતાના નાગિરકોનાં હક્કો-અધિકારો પ્રત્યેની ઉદાસીનતા છતી થાય છે.

શું ગુજરાતમાં પ્રશ્ન પૂછવાનો કે વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે?

શું ગુજરાતમાં જનતાને પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો, સરકારની નીતિઓથી અસહમતિ દર્શાવવાનો અધિકાર પણ છીનવાઇ રહ્યો છે? જેથી અમને ઉપવાસ આંદોલનની પરવાનગી ના આપવી એ નામદાર સુપ્રીમ કોર્ટ અને બંધારણે આપેલ અધિકારનો ભંગ થયો ગણાશે. જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમને અમારી માંગણીઓ સાથે ઉપવાસ પર બેસવા માટે સહયોગ આપો તથા સરકારી તંત્ર અને પોલીસને જરૂરી સૂચના, આદેશ અને પરવાનગી આપશો અને આઝાદીનાં આ શુભ ક્રાંતિના મહિને લોકતંત્રને વધુ મજબૂત બનાવવા આપનો ફાળો આપશો. સામાજિક ન્યાય, યુવાનો અને ખેડૂતોને થતા અન્યાયની લડાઈમાં સરકાર વતી સહયોગ આપશો તો વધુ ગમશે નહિં તો બંધારણીય રીતે અમે લડાઈ ચાલુ જ રાખીશુ.તેવી સહકારની અપેક્ષા સહ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker