India

ઉમિયાધામ માટે 150 કરોડ ભેગા કરનાર પાટીદાર સમાજના આગેવાનો મૂર્ખ છે : હાર્દિક પટેલ

મંદિર માટે ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરો એ મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યુ કહેવાય. આ શબ્દો છે પાટીદાર આગેવાન હાર્દિક પટેલના. હાર્દિક પટેલ રવિવારે પાસના અન્ય આગેવાનો સાથે રૂપાલ આવ્યો હતો જ્યાં તેણે વરદાયીની માતાજીના મંદિરે દર્શન કરી પાટીદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેણે ઉપરોક્ત ઉચ્ચારણ કર્યુ હતું. તાજેતરમાં જ પાટીદાર સમાજે ગણતરીની કલાકોમાં જ સમાજ સંકુલ અને મંદિર માટે કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા. આ બાબતને આજે હાર્દિકે આડકતરી રીતે વખોડી કાઢી હતી.

ગાંધીનગરમાં હાર્દિકે પોતાના સંબોધનમાં કહ્યું કે, પાંચ દસ પાટીદારો પૈસાપાત્ર હોય તો સમગ્ર પાટીદાર સમાજ સુખી ન ગણાય. ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે, પણ ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરે એટલે મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યુ કહેવાય.

મંદિરમાં નાખવા કરતા દોઢસો કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે. હાર્દિક પટેલના ઉપરોક્ત સંબોધનથી એક સમયે સોંપો પડી ગયો હતો. જોકે ત્યારબાદ તેણે પાટીદાર સન્માનની વાત પર લોકોને વાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યુ હતુકે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે.

સમાજમાં દર ૨૫ વર્ષે ક્રાંતી આવતી હોવાનું જણાવી હાર્દિક પટેલે, સરદાર વલ્લભભાઇ પટેલ, ચિમનભાઇ પટેલ અને કેશુભાઇ પટેલ સુધીના પાટીદાર આગેવાનોનો સમય ગણાવ્યો હતો. તેણે જણાવ્યુકે, ઉપરોક્ત પાટીદાર આગેવાનોને તેમના સમયમાં પાટીદારોનો ટેકો મળ્યો નહતો. સરદારને કરમસદના પાટીદારોએ ટેકો આપ્યો નહતો. ચિમનભાઇ વખતે પણ ટેકો નથી મળ્યો અને કેશુભાઇ વખતે આપણે જ તેઓને હટાવ્યા હતા. આંદોલનોેને તોડવા આપણા લોકો જ કામ કરે છે.

નિકોલના ચાર ખાલી પ્લોટ પાર્કિંગ માટે આપી દેવાયા

અમદાવાદ : પાટીદારોને અનામત તેમજ ખેડૂતોને દેવા માફીની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં આમરણાત ઉપવાસ માટે મેદાન ભાડે માગ્યું હતું જોકે એ મેદાન મ્યુનિ. તંત્રે પાર્કિંગ માટે ફાળવી દીધો છે. બીજી તરફ પાસ ટીમે આક્ષેપ કર્યો છે કે, નિકોલમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૪ ખાલી પ્લોટને ફ્રી પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધા છે. પાટીદારોને પ્લોટ ના મળે તે માટે તંત્રે આ કાવતરું ઘડયું છે. પાસ ટીમનું કહેવું છે કે, ગમે તે ભોગે અમે ઉપવાસ આંદોલન તો કરીશું જ.

હાર્દિકે આમરણ ઉપવાસ સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ કર્યો

ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મિટિંગોનો દોર શરૂ કર્યો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના ઈલોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker